લોકો માટે સારા કામ કરો અને જેલમાં જાઓ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વેદના
- 01 Jan, 2024
નવા વર્ષ પુર્વે જ વિપશ્યાના શિબિરમાં હાજરી આપીને આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તા.3ના રોજ પાટનગરના શરાબકાંડ મુદે એન્ફોર્સમેન્ટ ડિરેકટર સમક્ષ હાજર થવાનું છે તે પુર્વે તેઓએ પક્ષની રાષ્ટ્રીય કારોબારી અને નેશનલ કાઉન્સીલની બેઠકમાં તેઓ જેલ જવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો હતો.
કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, પક્ષે કામ આધારીત રાજકારણના કારણે લોકોના મત મેળવ્યા છે અને આપણે જે લોકોના ભલા માટેનો માર્ગ પસંદ કર્યો છે તેના કારણે જેલમાં જવું પડશે. વર્ચ્યુઅલ યોજાયેલી આ બેઠકમાં તેમણે કહ્યું કે જો આપણે લોકોના સારા માટે કામ ન કર્યુ હોત તો આપણો કોઈ નેતા જેલમાં ગયો ન હોત અને આરામથી પોતાના કુટુંબ સાથે રહેતા હોત.
તેમણે કહ્યું કે જો તમે લોકોના બાળકો માટે સારુ શિક્ષણ આપો તો તમારે જેલમાં જવું પડે. જો તમો ગરીબોને મફત ઈલાજ સારવાર આપો તો તમારે જેલમાં જવું પડે. આપણે જેલમાં જવાનો માર્ગ પસંદ કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ તા.4થી કેજરીવાલના ટેકામાં મે ભી કેજરીવાલ જનસંવાદ કેમ્પેઈન યોજવાની તૈયારી કરી છે તે દિલ્હીભરમાં યોજાશે.